સાહિત્ય એ સમય, સંસ્કૃતિ અને મનુષ્યના આંતરિક સંઘર્ષનો દસ્તાવેજ છે. કોઈ કૃતિ જ્યારે ચોક્કસ કાળખંડની વાત કરે ત્યારે એનાં પાત્રોના ઇતિહાસ સાથે આપણે પણ ચાલવાનું હોય છે.
આ એક એવી કથા છે, જેની ભૂમિકા જ મૃત્યુ બાદની ભૂમિ ઉપર તૈયાર થઈ છે. મૃત્યુ બાદના વિશ્વમાં સઆદત હસન મન્ટો અને મિર્ઝા ગાલિબ એકબીજા સાથે ગોઠડી માંડે તો એ કેવી હોય? જીવનનાં કયા અનુભવો, વાતો, પીડા અને ખુશી એ બંને પરસ્પર વહેંચે?
આ કથા ભારતની ગુલામીનાં છેલ્લાં વર્ષો અને આઝાદ ભારતના શરૂઆતનાં વર્ષોની હકીકતો સાથે ચાલે છે. અંગ્રેજ શાસનનાં પતન અને ભાગલા વખતની તંગદિલી – આ બધું જ અહીં મન્ટો અને ગાલિબની જીવનકથાની સાથે ચાલે છે.
તવાયફોની નવી કહાનીની શોધમાં રખડતા એક લેખકને – મન્ટો લિખિત મિર્ઝા ગાલિબ વિશે લખેલી નવલકથા મળે છે અને શરૂ થાય છે ‘મન્ટોની જુબાની, ગાલિબની કહાની’. થોડું ગાલિબ વિશે, થોડું મન્ટો વિશે – એમ કથા આગળ વધતી રહે છે.
ગાલિબના પૂર્વજોથી શરૂ થઈ બાળપણ અને યુવાનીમાંથી પસાર થતી વાત પહોંચે છે છેક 1857ના વિપ્લવ અને છેલ્લે દિલ્હીના પતન સુધી. નિરાશા, સંઘર્ષ અને પીડાઓમાંથી પસાર થતાં વાચક પણ એ ઘટનાઓ અને લાગણીઓના સહભાગી બને છે.
મન્ટોની વાત શરૂ થાય છે એમના કિશોરકાળથી. માતાપિતા સાથેનો લગાવ, મિત્રો સાથેની મજા, મુંબઈ માટેનો પ્રેમ, વાર્તાનાં પાત્રો અને એમના જીવનની દરેક ઝલક જે મન્ટો ખુદની જુબાનીમાં આપે છે. મન્ટો અને ઇસ્મતની ‘પ્રેમપૂર્ણ મૈત્રી’ કે ‘મિત્રતાવાળો પ્રેમ’નો કોયડો, એમની વાર્તાઓ અને બીજું ઘણું બધું…. ભારતના ભાગલા બાદ બે હિસ્સામાં વહેંચાયેલા મન્ટો લાહોરના પાગલખાનાના દોજ઼ખ઼ સુધી પહોંચે છે.
દોજખનામા ગાલિબ અને મન્ટોની ઉત્તમ જીવનકથા તો છે જ પણ સાથેસાથે પોતપોતાની કબરોમાં સૂતેલા મન્ટો અને ગાલિબ વચ્ચેની બહેતરીન વાતચીત પણ છે…. બંનેના સમયકાળ વચ્ચે ભલે સો વર્ષનું અંતર હોય પણ તૂટેલાં સપનાં અને સમયના થપાટની પીડા તો એકસરખી જ હતી.
અહીં મન્ટો અને ગાલિબની સાથે — ઇતિહાસના એક સમયખંડનું પ્રતિબિંબ અનુભવાય છે. ‘અસ્તિત્વ શું છે?’ ‘યાદોનું દોજ઼ખ઼ કેવું છે?’ જેવી વાતોથી વાચકના અંતરમન સુધી મન્ટો અને ગાલિબ પહોંચી જાય છે.
મન્ટો અને ગાલિબના ચાહકો માટે આ પુસ્તક એક આહ્લાદક અનુભવ છે, જે સમાપ્ત થયેથી બંનેથી વિખૂટા પડવાની લાગણી તમને પણ થશે.
દોજખનામા એક સાચા અર્થમાં આધુનિક નવલકથા છે.
– આનંદ બજાર પત્રિકા
આ કથા દ્વારા બે વ્યક્તિઓના જીવનની સાથે ઇતિહાસ પૂરી સુંદરતા અને સંતાપ સાથે ખૂલે છે.
– નબનીતા દેવ સેન