સ્વાતંત્ર્યસંગ્રામ સાથે દેશ માટે પણ એ સમાજસુધારણાનો, નવજાગૃતિકાળનો સમય હતો. ઘરસંસારની ક્ષિતિજો વિસ્તરતી જતી હતી.
એ સમયે કન્યાવિક્રય પ્રચલિત હતો. જોકે આજે પણ જુદા જુદા સ્વરૂપે ક્યાં નથી. આઠ-નવ વર્ષની કુમળી દીકરીને બીજવર, ત્રીજવરને પરણાવી દઈ મા-બાપો મોકળાં થઈ જતાં. દુષ્કાળ જેવા સમયમાં તો શ્રીમંત શેઠિયાઓ ખાસ ગામડે ઊતરી પડતા.
એ સંધિકાળમાંથી પિંડ લઈને સાવિત્રીનું પાત્ર ઘડાયું છે. એક અબુધ ગ્રામ્યકન્યાને વિઠ્ઠલદાસ ‘વ્હોરી’ લાવે છે અને મુંબઈના વૈભવશાળી બંગલોના ઉંબરે મૂકી અંદર ચાલ્યા જાય છે. વર્ષો પછી અનેક અવરોધો પાર કરી સાવિત્રી સ્વયં કરે છે ગૃહપ્રવેશ. એ સ્વયંસિદ્ધ નારી નિયતિને પણ લલકારે છે,
તોડ દે યે ક્ષિતિજ,
મૈં ભી તો દેખૂં, ઉસ પાર ક્યા હૈ?
એક ગૃહલક્ષ્મી, ગણિકા અને મૃત આભાસી સ્ત્રીનો અજબ ત્રિકોણ રચાય છે, અને બે પુરુષોનો પ્રેમ.
અનેક નાટ્યાત્મક પ્રસંગો, વળાંક અને વહેણમાં તીવ્ર ગતિથી વહેતી નવલકથાને ‘ચિત્રલેખા’નાં દેશ-દુનિયાનાં વાચકોએ ઉત્કંઠાથી વાંચી અને વધાવી.
‘ગાંઠ છૂટ્યાની વેળા’, ‘અણસાર’, ‘ક્રૉસરોડ’ જેવી અનેક બેસ્ટસેલર નવલકથાઓની જેમ લેખિકાની આરંભથી અંત સુધી જકડી રાખતી, મંત્રમુગ્ધ કરતી નવલકથા ‘બાણશય્યા’ પણ આપને ગમશે જ.