Author : Ashok Dave (અશોક દવે)
અશોકભાઈ કોઈ પણ વિષય પર લખીને હાસ્ય સર્જી શકે છે અને લંબાણથી કહીએ તો તેઓ નિરીક્ષણના માણસ છે. નિરીક્ષણના આધારે તેઓ લેખો લખે છે અને લખતી વખતે તેઓ શબ્દોનો સમજી-વિચારીને ઉપયોગ કરે છે.
તેમના હાસ્યલેખોમાં સૂક્ષ્મ નિરીક્ષણ જોવા મળે છે તો ઘણી વાર સિસ્ટમ કે ભ્રષ્ટાચાર કે પેધા પડી ગયેલા રાજકારણીઓ પર કે દંભી બાવા-બાબા-બાપુઓ-મહારાજો અને સ્વામીઓ અને તેમના બેવકૂફ કે અડિયલ ભક્તો પર સહજ શબ્દોમાં અત્યંત ધારદાર કટાક્ષ પણ કરે છે. તેઓ ગંભીર વિષય પર વાત કરતાં કરતાં વાચકોને હસાવી દે છે તો ક્યારેક હસાવતાં હસાવતાં અત્યંત ગંભીર વાત કહી દે છે.
કોઈ લેખક જેટલા વિષયની યાદી પણ ન બનાવી શકે એટલા વિષયો પર અશોકભાઈએ લેખો લખ્યા છે. ‘ચોંટડું મહેમાનો’, ‘મારી પથરી’, ‘છત પર છીપકલી’, ‘જાતે ઇસ્ત્રી કરવી એ મજૂરી છે કે કલા?’, ‘વાઇફને પણ સાઇકલ શીખવો, સજનવા’ કે ‘લાગી છૂટે ના’ જેવા કોઈ પણ વિષય પર લેખ લખી શકે છે.
અશોક દવેની અતિ વાચકપ્રિય કૉલમ ‘બુધવારની બપોરે’ની ખાસિયત એ છે કે એમાં તેઓ જેની ફીરકી લે એવા લોકો પણ પોતાના વિશે વાંચતી વખતે મલકી પડતા હોય છે. હું વિદ્યાર્થી હતો ત્યારથી અશોકભાઈની કૉલમનો ચાહક બની રહ્યો છું. હું તેમના લેખના પહેલા શબ્દથી છેલ્લો શબ્દ ધ્યાનથી વાંચું છું. આ ચોખવટ એટલે જરૂરી છે કે અશોકભાઈએ ‘લેખો કે પુસ્તકોમાંથી પસાર થનારાઓની’ ફીરકી લેતો લેખ પણ લખ્યો હતો. ચોખવટ પૂરી!
તેમની ‘બુધવારની બપોરે’ કૉલમ થોડા સમયમાં ‘વનપ્રવેશ’ કરશે એટલે કે એકાવનમા વર્ષમાં પ્રવેશ કરશે! સતત પાંચ દાયકા કરતાં પણ વધુ સમય સુધી દર અઠવાડિયે નવા-નવા વિષયો શોધતા રહેવા અને દરેક સપ્તાહે પોતાના જ અગાઉના લેખની સામે સ્પર્ધામાં ઊતરી શકે એવી કૉપી લખવી એ ખાવાના (કે પીવાના પણ!) ખેલ નથી. પણ અશોકભાઈ સહજતાથી આ કામ કરી રહ્યા છે (આઇ મીન લખવાનું કામ!)
– આશુ પટેલ
આ પુસ્તકનું પ્રત્યેક પાનું તમને હસતા ન કરી દે, એ વાતમાં દમ નથી. લાગી શરત?