નવેમ્બર, 26, 1922. પાંચ પાંચ વરસથી ઇજિપ્તમાં નાઇલ નદીની પશ્ચિમે આવેલ મૃતકોની (ખીણ) (Valley of Dead)માં એક મૃત ફેરોની કબરની શોધ કરી રહેલ બ્રિટિશ પુરાતત્ત્વશાસ્ત્રી હાવર્ડ કાર્ટરે એક કબરના દરવાજામાં કરવામાં આવેલ બાંખામાં મીણબત્તી ધરી. એ વખતે હાવર્ડ કાર્ટરને નહોતી ખબર કે એણે ઇજિપ્તના ઇતિહાસનાં કેટલાંક એવાં ખોવાયેલાં પાનાં શોધી કાઢ્યાં છે કે જે છેલ્લાં ત્રણ હજાર વરસથી ગાયબ હતાં અને એ સાથે ને એવું અદ્ભુત વરદાન પણ મળી ગયું કે જે ફેરોનું મમી મળી આવ્યું હતું એની સાથે હંમેશાં એનું નામ પણ લેવાશે.
એ કબર હતી 3000 વરસ સુધી ગુમનામીની ચાદર ઓઢીને કાળના પોપડા નીચે ઊંઘ ખેંચનાર ફેરો તુતાનખામુનની! ઇજિપ્તની એ એક જ કબર હતી જે આટલાં વરસોથી લૂંટાયાં વિનાની રહી શકી હતી. એ પહેલાં કે એ પછી મળેલી એકપણ કબરમાં આટલો કિંમતી સામાન હાથ લાગ્યો જ નથી.
ફક્ત નવ જ વરસની ઉંમરે તુતાનખાતેન તરીકે ઓળખાતો આ બાળક એક ફેરો એટલે કે ઇજિપ્તનો સમ્રાટ બની જાય છે. ઇજિપ્તના જૂના અને પ્રચલિત ધર્મ બહુ-ઈશ્વરવાદને રાતોરાત ઉથલાવી નાખીને એકેશ્વરવાદની સ્થાપના કરનાર ફેરો અખેનાતનનો તેમજ ઈતિહાસે જેને અતિ સુંદર બતાવી છે એ રાણી નેફરટીટીનો એ પુત્ર. ફક્ત દસ જ વરસ રાજ કરનાર એ ફેરો અને એનાં માતા-પિતા આજે ઇજિપ્તના ઈતિહાસમાં સૌથી ચર્ચિત નામ છે. એમના જીવનમાં આજે પણ સૌને ખૂબ જ રસ પડે છે. એ રોમાંચક ઈતિહાસ નવલકથારૂપે વાચકો સામે આજે મૂકતાં મને હર્ષ થાય છે. આશા છે કે વાચકોને પણ એ ગમશે.
ડૉ. આઈ. કે. વીજળીવાળા