Author : Saurabh Shah (સૌરભ શાહ)
લાગણીઓનું મૅનેજમૅન્ટ
જિંદગી ક્યારેય કોઈની સાથે અન્યાય કરતી નથી. આપણે પોતે જ જાત સાથે અન્યાય કરી બેસતા હોઈએ છીએ. આપણી કક્ષા હોય એના કરતાં એને ઊતરતી માનીએ છીએ અને થોડાક પ્રયત્નો પછી ધાર્યું પરિણામ ન મળે ત્યારે બેસી પડીએ છીએ. આપણામાં રહેલી પ્રચંડ રિઝર્વ એનર્જીનો આપણને અંદાજ જ નથી. * ભગવાને આ એક જિંદગી આપી છે તે તમારી પોતાની રીતે જીવવા માટે, લોકો શું કહેશે એવું વિચારીને વેડફી નાખવા માટે નહીં. * એક વખતની નિષ્ફળતા ફરી વારની નિષ્ફળતાની આગાહી નથી. * દરેક નકારાત્મક લાગણી પ્રગટ થયા પછી એનું પરિણામ ભોગવવું જ પડે છે. મનમાં જન્મતી બધી નકારાત્મક લાગણીઓ કાયમી નથી હોતી. તો પછી એ જેવી જન્મે એવી જ એને પ્રગટ કરીને આખી જિંદગી ખોટનો ધંધો શું કામ કરવો. * મનની ખરી શક્તિઓ એના તળિયે ધરબાયેલી છે. પણ સપાટી પરનું પાણી શાંત કરતાં આવડતું નથી એટલે આ અગાધ શક્તિઓ દેખાયા વિનાની રહી જાય છે. * પોતાનામાં જે શ્રેષ્ઠ છે તે ખર્ચી નાખ્યા પછી પણ નિષ્ફળતા મળતી હોય ત્યારે એ નિષ્ફળતા જિંદગીના સરવૈયાની ઉધાર નહીં પરંતુ જમા બાજુએ લગાડી હોય છે. * કોઈ પણ ક્રિયામાંથી આનંદ મળતો અટકી જવાની પરિસ્થિતિને કંટાળો કહે છે. કંટાળો કામ પર ચોકડી મૂકી દેવાની પરિસ્થિતિ નથી પણ ચેતવણીનું સિગ્નલ છે કે જલદી પગલાં નહીં લેવાય તો કામ બંધ થઈ જશે. * ભવિષ્યની મુઠ્ઠીમાં શું હશે તે જાણવાની જેને ફિકર નથી અને ભૂતકાળની રેતશીશીમાં શું સરી ગયું તે તરફ જોવાની જેને પડી નથી એ જ વર્તમાનની દરેક પળને મન ભરીને માણી શકે. * તકલીફ આપણા સૌની એ જ છે કે નિશાનને એકીટશે તાકીને બેસી રહીએ છીએ. એને સર કરવા તીર છોડવું અનિવાર્ય છે એવું ભાગ્યે જ કોઈ સમજે છે.