Author : Vijaygupt Maurya (વિજયગુપ્ત મૌર્ય)
પાકિસ્તાન સામે આપણે ૧૯૪૭-૪૮નું અને તે પછી ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯ તથા ૨૦૨૫નું ‘ઓપરેશન સિંદૂર’ એમ પાંચ યુધ્ધો લડવાનાં થયાં, જે તેણે આપણા પર ઠોકી બેસાડયાં હતાં. જે તે સમયના વિકટ સંજોગો જોતાં દરેક યુધ્ધ ભારતીય જવાનોના જોમ અને જુસ્સાને કસોટીએ ચડાવ્યા અને જવાનો તેમાં વિજયની લહેરાતી પતાકા સાથે પાર ઊતર્યા. યુધ્ધભૂમિને પોતાની યશભૂમિ બનાવી દીધી. દરેક યુધ્ધ આપણા ઇતિહાસનું અમીટ પ્રકરણ બન્યું.
પાંચેય યુધ્ધોમાં જવાનો માભોમ માટે વીરતાપૂર્વક લડ્યા અને કેટલાક વિરોચિત મૃત્યુને ભેટ્યા, એટલે પાંચને તુલનાત્મક રીતે મૂલવવાનું ખરું જોતાં તો યોગ્ય નહિ. આમ છતાં જેના વિશે ન્યૂનતમ લખાયું અને કહેવાયું એ ૧૯૪૭-૪૮ના યુધ્ધ માટે વિના સંકોચે કહી શકાય કે તેમાં આપણા શૂરા જવાનોએ દાખવેલાં પરાક્રમોનો ભારતનાં તો ઠીક, જગતનાં તમામ યુધ્ધોમાં જોટો સાંપડે તેમ નથી.
વિજયગુપ્ત મૌર્ય દ્વારા લિખિત અને નગેન્દ્ર વિજય દ્વારા સંપાદિત ‘કાશ્મીરનું અગ્નિસ્નાન’ ૧૯૪૭-૪૮ના યુધ્ધની સિલસિલાબંધ ઘટનાઓને પહેલી જ વાર રોમાંચક કથાના સ્વરૂપે પ્રકાશમાં લાવે છે. ઉત્સુકતા, તણાવ, રહસ્ય, ઉત્તેજના વગેરેનો પાશ ધરાવતી કથા જબરી પકડ જમાવે છે. પુસ્તકનાં ઘણાં પ્રકરણો રોમે રોમ ખડાં કરી દે તેવાં છે, તો અમુક રડાવી મૂકે તેવાં પણ છે.