દ્રવિડી ચળવળના પિતા મનાયેલા ઈ. વી. રામાસામી ઉર્ફે પેરિયાર એ સ્વપ્નશીલ, બુદ્ધિનિષ્ઠ, નાસ્તિક, કર્મશીલ, સમાજસુધારક, લેખક અને રાજકારણના વડીલ મનાયા છે. લગભગ સાઠ વર્ષની તેમની રસપ્રદ રાજકીય મુસાફરીમાં પેરિયારે અનેક રંગ ધારણ કર્યા. એમને ચાહનારા પણ ઘણા હતા અને ધિક્કારનારા પણ ઓછા ન હતા. જ્ઞાતિપ્રથાનું નિર્મૂલન અને સ્ત્રીઓનો ઉદ્ધાર એમનાં બે અતિ મહત્ત્વનાં કાર્યો છે. તેમણે ઘણા રાજકીય સંઘર્ષો પણ ઊભા કર્યા, પણ પોતાના આદર્શોને ઝનૂનપૂર્વક અને પૂરી તન્મયતાથી વળગી રહ્યા. પોતાના આદર્શોને ચરિતાર્થ કરવા જાતભાતના કાર્યક્રમો આપ્યા, જેને કારણે જ તેમને મજબૂત ટેકેદારો પણ સાંપડ્યા અને કડક ટીકાકારો પણ.
એક વિશિષ્ટ પ્રતિભાનું રસપ્રદ જીવનચરિત્ર અહીં આલેખાયું છે. મૂર્તિભંજકના વિચારોએ તેમના અનુયાયીઓ પર આજે પણ એક પ્રકારની ભૂરકી નાખેલ છે. આ પુસ્તકમાં એમના વિચારોની રાજકીય, સામાજિક અને સાહિત્યિક અસર વિશે વાતો કરવામાં આવી છે.